કેમ કહેવાય છે કે સુરત નું જમણ નસીબદારને જ મળે?
![સુરત નું જમણ](https://gujjumitro.com/wp-content/uploads/2021/11/surati-locho-1024x576-1-1024x500.jpg)
કેમ કહેવાય છે કે સુરત નું જમણ નસીબદારને જ મળે? – જાણો પ્રખ્યાત વાનગીઓ
સદીઓથી વિશ્વભર માં પ્રચલિત છે સુરતનું જમણ.અહીના રેલ્વે સ્ટેશન ની બહાર આવતા ની સાથે જ સામે ઈશ્વરતુલસી ની રતાળુ- બટાકા ની પુરી, નજીક ના લાલ દરવાજે ગાંડાકાકા ના નાયલોન ફાફડાની લિજ્જત માણવા જેવી છે, તો આગળ વધીને ભાગળ ના ચાર રસ્તા ઉપર મોતી હરજી મીઠાઈની દુકાને..
ચોખ્ખા ઘીનો મધપુડો ( જલેબી ) મળી રહે છે, બાજુની ગલીમાં મોતીરામ ના વિશ્વખ્યાત ચોમાસામાં જ બનતા તીખા તમતમતા સરસિયાના તેલમાં બનેલા ખાજા,ની સામે ની બાજુ મા મળશે રામજીદામોદર નું દાઢે વળગી જાય એવું સ્વાદિષ્ટ ફરસાણ માં સેવ,ગાંઠીયા,પાપડી, તીખી મીઠીબુંદી, ચવાણું, સાથે દરરોજ વહેલી સવારે તરો તાજી લીલીછમ્ વિવિધ ભાજી ઓ પૈકી ની મેથી,પાલક,ચોલાઈ, સુવા, ને શિયાળામાં વખણાતી કતારગામ ની પોપચાં પાપડી, જે સુરતની પ્રખ્યાત શાકવાનગી ઉંધિયુ માં રાજા ના દરજ્જો મેળવે છે. એના વગર ઉંધિયું જાણે બેસ્વાદ લાગે.
![ફાફડા જલેબી](http://gujjumitro.com/wp-content/uploads/2021/01/fafda-jalebi.jpg)
બાજુની શેરીએ લીમડાચોકે બારમાસી વેચાતા ચેવલી ના ગરમાગરમ ભજીયાની લિજ્જત માણવા જેવી ખરી, ત્યાંથી આપ ચાહો તો ઝાંપા બજારમાં આદર્શ ની ચ્હા પીવા જાવતો ,રસ્તે રમેશભાઈ ની ભેળ ભૂલતા નહીં, હા, શિયાળામાં વહેલી સવારથી લાઈન માં ઉભા રહીને ત્યાંના કૉટસફિલરૉડૅ તાજો નિરો ( તાડી પીણું ) તંદુરસ્તી માટે ઉપયોગી છે એ પણ પી શકો છો, રાત્રે બરાનપુરી ભાગોળે લવલી ની પાઉં ભાજી અને સોનલ ના ઢોસા ખાવાની ઈચ્છા થાય તો એ પણ મળી રહેશે.
લાલગેટ પર આવતા જ જમણી બાજુએ બદરીહોટલનો સંચાનો આઈસ્ક્રીમ પણ લહેજતદાર છે.તો હરિહર ના ગોટા અને ચૉકબજાર પહોંચતા જ એ વન ના કોલ્ડ કૉકૉની મહેક આહા હા.. મોંઢા મા પાણી લાવી ઓર્ડર આપી દેવાનું મન કરાવી શકે છે, શહેર મધ્યે મઝદાબેકરીની ખારી, પડવાળી, ફરમાસ, નાનખટાઈ બિસ્કીટ પણ ખરીદવા જેવા ખરાં, પાસે ના ચૌટાપુલના પગથિયાં ઉતરીને ઘારી માટે જગતભરમાં પંકાયેલા એવા જમનાદાસ ઘારી વાળાની સાદી, બદામ પિસ્તા, કેશર એલચી ઘારી તો ઘારી .. ખરેખર દેવલોકમાં પણ દુર્લભ એવી લોકવાયકા છે.
![](http://gujjumitro.com/wp-content/uploads/2021/11/khaja.jpg)
શિયાળાની સિઝન માં મળતો આંધળીવાની નો પોંક, અને લીંબુ મરીની સેવ નો જોટો તમને સુરત સિવાય ક્યાંય નથી મળવાનો.સુરત ના વિસ્તારોના નામો પણ ખરેખર તંદુરસ્તી વધારી દેશે એવા એવા છે.. અહીં કેળાપીઠ છે, જમરૂખ ગલી છે, ચીકુ વાડી છે, છપ્પન ની છાતીસમો વરાછા વિસ્તારમાં સરદારનો ચૉક છે તો, આઝાદ હીન્દ ફૉજના સુભાષચંદ્ર બોઝ ના નામે પણ ગોપીપુરા ખાતે ચૉક છે,
![ગુજરાત ની વાનગીઓ](http://gujjumitro.com/wp-content/uploads/2020/10/khandavi.jpg)
શહેર મધ્યે ગાંધી બાગ ના દરવાજે મહાત્મા ગાંધીજી પણ અડગ ઊભા રહીને સામેથી પસાર થતા પરપ્રાંતીય મજુરોની આવન જાવન ના સાક્ષી બનેછે,તો ગાંધી બાગ ના પાછલા હિસ્સા પર વીર કવિ નર્મદ એના એ સમય ના સુરત અને સાંપ્રત સમયના સુરતની બદલાતી જતી સૂરત ને નિહાળી વિચારો માં ખોવાયેલા,માથે હાથ દઇને બેઠક જમાવતા નજરે પડ્યા વિના નથી રહેતા,
એમની સામે જ એક સમય ના વૅજ.નૉનવૅજના ખોરાકી ટેસ્ટ માં બેસ્ટ એવા ક્વોલિટી રૅસ્ટૉરન્ટની મુલાકાત પણ આપ ચાહો કરી શકો છો. સવાર બપોર સાંજ અને રાત્રી ના સમયે ખુશ્બુદાર ધમધમાટી વાળી ખલીલ ની ચ્હા પણ બારેમાસ ઉપલબ્ધ છે. હા, આપ સાઉથ ઈન્ડિયન વાનગીને યાદ કરો તો બેશક અઠવાલાઈન્સ પર આવેલ મૈસુર કાફે ની મુલાકાત અવશ્ય લેવી પડે.
![samosa](http://gujjumitro.com/wp-content/uploads/2021/08/samosa-e1629722035996.jpg)
તાજા સમાચાર મુજબ સમોસા ખાવા માટે ઘોડદોડ રોડના રામચૉક નજીક ના એક બંગલાના અગ્ર ભાગમાં રચના ના સમોસા નુ પાટિયું દેખાશે.હાલ માં તો શહેરના વિવિધ વિસ્તારોમાં જાતજાતની , ભાતભાતની આરોગ્ય પ્રદ વાનગીઓ સહેલાઈથી મળી રહે છે. અહીં ના ખમણ ની આડપેદાશ જેવો અઠળક કમાણી કરી આપતો લોચો , અને મોડી રાત્રે દોરી – પાટી પલંગ ઉપર પલાંઠી વાળીને બેસી ખવાતા કાઠીયાવાડી કુંભ મીરાં મરચાંના ભજીયા નો વેપાર પણ હાથથી વણાતા ગાંઠીયારથો ની ભારોભાર ટક્કર મારી રહ્યા છે.
તો.. દોસ્તો જ્યારે જ્યારે સુરત આવવાનું કારણ બને કે, આપની જીભે ચટાકેદાર વાનગી ખાવાની પ્રબળ ઈચ્છા થાય તો મન ને ક્યારેય જીવતેજીવ મારશો નહી. આપ સૌને એક મૂળ સુરતી,એક સહાયક સુરતી તરીકે નો સહૃદયતા પૂર્વકનો આવકાર્ છે,આપ ચાહો ત્યારે સ્વાદિષ્ટ રંગીલા,ભોગીલા સુરતમાં બેશક પધારશો આપ કહેશો કે, ખરેખર ગુજરાતી ભાષામાં બોલાતી કહેવત મધ્યે સુરતનું જમણ અમસ્તું ‘જ નથી લખાયું છે.
Also read : ઘરનું રસોડું છે દવાખાનું અને મસાલા છે દવાઓ