ગોંડલ ના પ્રજાવત્સલ મહારાજા ભગા બાપુ

ગોંડલના ભગા બાપુ

ગોંડલ ના ભગા બાપુ નો 151મો જન્મદિવસ

ગોંડલ ના ભગા બાપુ

ભગા બાપુ ના હુલામણા નામથી ઓળખાતા ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા જે આજની લોકશાહી કરતા એ સમયની રાજાશાહીને ગોંડલ રાજ્યની પ્રજા વધુ પસંદ કરે.

કન્યા કેળવણી

સર ભગવતસિંહજીએ એમના શાશનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા જ જાય તો એના પિતાને ચારઆના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. આજે ગોંડલના કોઈ ઘરમાં કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે. ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવી હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગત મદદનિશ તરીકે જમનાબાઇ નામની સ્ત્રીને નિમણૂંક આપી હતી.

દેશી પહેરવેશ

ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા. એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દીલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.

Gondal Palace

પ્રજા પાસે થી વેરો કે કર નહોતા લેતા

કોઇ કલ્પના પણ કર શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ? ભગવતસિંહજીએ ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું. રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. એકવખત ટાંચણેના ભાવમાં ઉછળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ. ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા. મહાત્મા ગાંધી, બિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.

પ્રજાને સંતાન ની જેમ રાખતા

મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા. ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે ‘સબસલામત’નો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા. તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી.

થાકલા બનાવ્યા

પ્રજાની નાની-નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા. એક વખત એક ડોશીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી. પોતાનો કોઇ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ ડોશીમાંના માથા પર ભારો મુક્યો. ડોશીએ એ વખતે કહ્યુ કે ભગાબાપુ અમને ‘થાકલા’ બનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે. મહારાજા સાહેબે ડોશીમાં પાસેથી ‘થાકલા’ એટલે શું એ સમજી લીધુ અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી આપવાની સુચના આપી. આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે. જેમાં માણસની ઉંચાઇના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મુકેલો હોયે જેના પર ભારો મુકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવુ હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઇ મદદગારની જરુર જ ન પડે.

પુનામાં ગોંડલ ના વિદ્યાર્થી માટે અનામત બેઠક

પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે.

ભગાબાપુ

બાંધકામ માં સચેત

ગોંડલ ના ભગા બાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને જો વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા.

ગોંડલ ના ભગા બાપુ ની ગૌરવ ગાથા

ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. મને અમારા ભગા બાપુ પ્રત્યે અનહદ પ્રેમ અને આદર છે. હું તો ઘણીવખત મારા ક્ષત્રિય મિત્રોને કહુ છું કે તમારો આદર્શ ગલીના કોઇ ગુંડાને નહી બનાવતા પણ સર ભગવત જેવા રાજવીને બનાવજો. મને એક ઇચ્છા છે કે મારે ગોંડલમાં સર ભગવતસિંહજીના જીવન પર ત્રણ દિવસની “ભગવત ગૌરવ ગાથા’ નામની રાત્રી કથા કરવી છે જેથી ગોંડલની પ્રજાને ખબર પડે કે એમના મહારાજા કેવા હતા !

ગુજરાતની ગરિમા સમાન સર ભગવતસિંહજીને એમના 151માં જન્મદિને કોટી કોટી વંદન અને પ્રભુને પ્રાર્થના કે ગોંડલના વર્તમાન શાશકોને એવી સદમતિ આપજો કે ભગાબાપુના ગોંડલની આગવી ઓળખ ભૂંસી ન નાંખે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *