દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!
![દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!](https://gujjumitro.com/wp-content/uploads/2021/07/heart-552x500.png)
દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!
દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!
પીડાને માટે એટલે હૃદયને પક્ષપાત છે
પ્રણયની શાળા એ ચકાસીને પ્રવેશ આપશે
-ખમી શકો છો દર્દને? બસ એ જ લાયકાત છે.
લઈને રૂપ સ્વપ્નનું ઉભી છું તારી પાંપણે
કહ્યું તેં ભર બપોરે જ્યાં કે, ‘ચાલ મળીએ રાત છે!’
કરીને ખોટા વાયદા, તેં છોડી દીધી આંગળી,
ન જાણ્યું એટલું? મને તો ખાલીપાની ઘાત છે.
જીવનનો બાગ મઘમઘે છે જેની ખૂશ્બૂને લીધે,
જતનથી જે ઉછેરું છું, સ્મરણ એ પારિજાત છે.
મિલનની યાદને જ સોંપી દીધો કબ્જો એનો મેં,
જતાવે હક હૃદય ઉપર દુઃખોની શું વિસાત છે!?
તને વિચારીને લખ્યો એ ચર્ચાનો વિષય બન્યો,
નહીં તો આખીયે ગઝલમાં, શેર ટાંક્યા સાત છે.
~ અંજના ભાવસાર ‘અંજુ’
Also read : સુખ દુઃખ માં અડગ રહે છે પતિ પત્ની નો પ્રેમ થી ઓતપ્રોત સંબંધ