ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ અને તેની ચમત્કારી શક્તિ ના પરચા

ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ અને તેની ચમત્કારી શક્તિ ના પરચારચા અને તેનો રોચક ઇતિહાસ જણાવવા માગું છું. ચાલો વાંચીએ ગિરનાર પર્વત વિષે કેટલીક એવી અજાણી વાતો જેના વિષે બધાને ખબર નથી હોતી.

ગિરનાર પર્વત ના શિખરો

ગિરનાર પર્વત ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.

પવિત્ર ગિરનાર પર આવેલા મંદિરો

ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. આજના આર્ટિકલ માં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું.

દેવો ના દેવ મહાદેવ

શિવભક્તો માટે શિવધામ છે ગિરનાર

સૌપ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પુજા થાય છે. અહીં ‘નાગા બાવા’ઓ શિવરાત્રી ઉજવવા આવે છે. 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે, ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે.

જૈન લોકો માટે દિવ્ય સ્થાન છે ગિરનાર

ગિરનાર પર્વતનો ઇતિહાસ પ્રમાણે 12થી 16મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે, જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા.

દેવી ભક્તો માટે માતાજીનો ગઢ છે ગિરનાર

બીજા 2000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે.હિન્દુઓ, જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણિત દંપતિઓ આશીર્વાદ લેવા આવે છે. છેલ્લા 2000 પગથિયાં માં ડર લાગેછે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે, 100 પગથિયાં નીચે ઉતરીને 100 પગથિયાં ચડતાં બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે.

આ સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદિ આત્માઓની ગિરનાર પર્વતનો ઇતિહાસ, તેના વિષે અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોક્મુખથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે.

ચમત્કાર અને પરચા

જુનાગઢના ગોરજી કાંતીલાલજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટલાક ભાઈઓએ ગધ્ધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા, તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતાં કેટલાક તો ગાંડા થઇને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છુટતાં રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેટલાક તો જુનાગઢમાં પહોચ્યાં પછી મૃત્યુ પામ્યા હતાં.

saadhu

અઘોરીઓ એ ગિરનાર કેમ છોડ્યું?

ગોરજી કાંતીલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાહ્મણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાહ્મણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે. બ્રાહ્મણ ના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા.

નેમિનાથ દાદાની પૂજા

ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે, અરે!! બાલ બ્રહ્મચારી નેમિપ્રભુના દર્શન-પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે, આજે અનેક મુમુક્ષુ આત્માઓ દિક્ષાપૂર્વે શ્રીનેમિપ્રભુ તથા દીક્ષા કલ્યાણકભૂમિના દર્શન-પૂજન-સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતાં અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે. કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી આત્મારાધનામાં લીન બન્યા છે.

પાર્શ્વનાથ ભગવાનના ભોંયરા માં સાધના

એક સાધક આત્મા ગિરનારના અમિઝરા પાર્શ્વનાથ ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેકવાર આવતાં હતા, ત્યારે એક રાત્રીએ ભોંયરામાં જાપ-ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશ્માર્ગેથી એક દિવ્યપ્રકાશનો પૂંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશના પૂંજમાંથી બે ચારણમુનીઓ અવતરતાં દૃશ્યમાન થયા, થોડીવાર અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણમુનીઓ અત્યંત તેજગતિએ આકાશ ભણી ગમન કરતાં નિહાળ્યા હતા.

ગિરનારની રહસ્યમય ગુફાઓ

ગિરનાર પર્વતનો ઇતિહાસ પોતાના માં ઘણા બધા રહસ્યો છુપાવીને બન્યો છે. એક મહાત્માએ ગિરનારની ૯૯ યાત્રા કરતાં કરતાં એકવાર એક વિશિષ્ટ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં અત્યંત શાંત, તેજસ્વી, કદાવરદાર દેહધારી, તેજ વર્તુળવાળા એક દિવ્યસંતના દર્શન કર્યા અને તેમના સ્વમુખે ગિરનાર મહાતીર્થનું અલૌકિક માહાત્મ્ય સાંભળ્યું હતું.

Neminath

નેમિનાથ દાદાના દેરાસરમાં અમી ઝરણા

રાજનગર – અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનારમંડણ શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા. વળી શ્રી નેમિપ્રભુની પ્રતિમાને ત્રણવાર અંગલુંછણા કરવા છતાં જયારે અમિઝરણાં ચાલુ જ રહ્યા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી.

પ્રેમચંદ મહારાજ ની ગુફા

ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે, શ્રી પ્રેમચંદજી મહારાજ યોગ વિદ્યામાં પ્રવીણ હતા. એકવાર પોતાના ગુરુભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતા. શ્રી કપુરચંદજી મહારાજ પાસે અનેકરૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડી જવાની આકાશગામિની વિદ્યા હતી.

જિનાલય માં ઘંટનાદ

સં. ૧૯૪૩ માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાષાણનું દ્વાર ખોલીને અંદર લઇ ગયેલા ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઈને તે દ્વારની તપાસ કરતાં, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાઈ નહોતું મળતું. એકવાર કેટલાક આરાધકો શ્રી નેમિનાથ દાદાની દેરાસરની બહારની ધર્મશાળાની રૂમોમાં જાપની આરાધના કરી રહ્યા હતાં. ત્યારે શ્રી નેમિપ્રભુના જિનાલયમાંથી એકધારો ઘંટનાદ સંભળાતો હતો.

શાસન દેવી ની આરાધના

કેટલાક સાધ્વીજી ભગવંતો શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદ બહાર રહેલા શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીની દેરી પાસે આરાધના કરી રહ્યા હતા ત્યારે દાદાના દરબારમાંથી લગભગ પોણા કલાક સુધી સતત નૃત્યોના નાદ અને ઝાંઝરના-ઝમકારના દિવ્યધ્વનિનું ગુંજન સંભળાતું હતું.

ભગવાનના ચરણ કમળ માંથી દિવ્ય સુગંધી જળ

વિ.સં. ૨૦૩૧ ના કારતક માસમાં એક આરાધક આત્માએ ખુબ ભાવપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રક્ષાલ કર્યો પછી અંગલુંછણા વગેરેથી બધું કોરું કરી દેવા છતાં જયારે પૂજા કરવા ગયા ત્યારે પ્રભુજીના ચરણકમલમાંથી લગભગ ચારેક વાટકી ભરાય તેટલું દિવ્યસુગંધી નવણજલ ઝર્યું હતું.

ગિરનાર પર છે ઘણી બધી ઔષધિ

આ ગિરનારની ઔષધીના અચિંત્યપ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરુષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા કરતાં હતા. એકવાર એક યોગીપુરૂષને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હોવા છતાં તે મહાત્માએ ભડભડ બળતાં અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગવર્નરને આશ્ચર્ય પમાડી દીધા હતાં.

ભારતીય પરંપરા અને વિજ્ઞાન

નાગાબાવા અને મહાશિવરાત્રિ

ગિરનારની ગુફામાં વસતાં નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે. આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રિના મેળાના અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી (પ્રાયઃ! સુક્ષ્મ શરીર કરીને ચાલ્યા જતાં હોવાનો સમભાવ છે.) શું આ બધી વાતો ગિરનાર પર્વતનો ઇતિહાસ રોચક નથી બનાવતી ?!!!

પોલીસ પણ આશ્ચર્યચકિત

ઈ.સં. ૧૮૮૯-૧૮૯૦ માં વંથલી તાલુકાના સેલરા ગામના એક આહિરના પુત્રને તેના ખેતરમાંથી આકાશમાર્ગે આવેલા કોઈ સાધુ પોતાની પાછળ તે બાળકને ઉપાડીને ગિરનાર ઉપર લઇ જતા હતા, એક ગુફામાં ત્રણ દિવસ રાખીને પાછો મુકી જતા હતાં ત્યારે પોલીસ તપાસ થતી પરંતુ તે વખતના નવાબ રસુલખાને હવે આ છોકરો સહિસલામત પાછો આવી ગયો હોવાથી તે સાધુઓની શોધ કરવા માટે વિશેષ ઊંડા ઉતરવાની જરૂર નથી તેવું કહીને તપાસ બંધ કરવા માટે આજ્ઞા કરી હતી.

સોની નો અનુભવ

એકવાર એક બાવાએ જંગલમાં કોઈ રસકુપિકાની શોધ કરીને તેમાંથી રસ લઈને એક તુંબડીમાં ભરી દીધો હતો, રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળતો હતો. સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી. આ ઘટનાનો ખ્યાલ આવતાં સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાનો કોઈ પત્તો ન લાગ્યો.

રોગથી મુક્તિ

મહાદુઃખમય એવા સંસારમાં રોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજીની ટૂંકથી પડતું મુક્યું પરંતુ નસીબજોગે કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય ત્યાંજ પડ્યો રહેવાથી હરડેના ઝાડની અસરથી તેને વારંવાર સંડાસ જવાનું થતાં તેનો બધોજ રોગ દૂર થઇ ગયો. આ વાત તેણે જુનાગઢના તે વખતના ગોરજી લાધાજી જયવંતજીના ગુરૂને કરી ત્યારે તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો. ટૂંક સમયમાં નવાબ સાહેબનો દીર્ઘકાલીન રોગ પણ ગાયબ થતાં તે તંદુરસ્ત સ્વાસ્થ્યને પામ્યા હતાં.

ભૂખનું શમન કરતાં પાંદડા

એકવાર કેટલાક યાત્રિકો ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોચ્યાં હતા. યોગી મહાત્માએ તેમને સાંત્વન આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા. તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું શમન થઇ ગયું. ત્યારબાદ તેમની ઉપર પાટા બાંધીને કોઈક રસ્તે છૂટા મૂકી દીધા ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોચી ગયા હતાં. બીજા દિવસે જયારે તે યાત્રિકોએ તે ગુફાની શોધ કરી ત્યારે તેમને તે સ્થાન જોવા ન મળ્યું.

Tulsi

કુહાડી સોનાની થઈ ગઈ

એકવાર એક કઠીયારાએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી, તે કુહાડી જોગાનુજોગ કોઈ કુંડમાં પડવાથી સોનાની થઇ ગઈ, તે સ્થાનની ચોક્કસ નિશાની રાખીને તે કઠીયારો બીજે દિવસે તે સ્થાન શોધવા લાગ્યો ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતાં તે રસ્તામાં ભૂલો પડી ગયો હતો.

વાલ્મીકી ટેકરી

કાળી ટેકરીની આગળની ટેકરીને વલ્મિકી ઋષિની ટેકરી કહે છે. તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગોળો’ નામની જગ્યા આવે છે. તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે.

તાંતણિયો ધરો

ગબ્બર અથવા ગધ્ધેસિંહનો ડુંગર પાંચમી ટૂંકના નૈરૂત્યખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ દ્રુહ નામનો ઝરો છે તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મળ જળ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને હોજતને મળે છે.

ટગટગીઆનો ડુંગર

ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, ૮૪ સિદ્ધની ટેકરી છે, તેને હાલ ટગટગીઆનો ડુંગર કહે છે. આ ટગટગીઆના ડુંગરથી રત્નેસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતાં. ગિરનારના માર્ગમાં આવેલા દામોદરકુંડના પાણીમાં નાંખવામાં આવેલા હાડકાં આપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાંખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જ રહે છે.

આંબો

આંબો અને ઝરણું

ગિરનારના સહસાવન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું વહેતું હતું. એક માણસ તે ઝરણાનું પાણી લેવા નીચે વળીને પાછો ઉભો થાય છે ત્યારે એક મહાકાય માનવ જેવી આકૃતિ તેની સામે જોઇને અટ્ટહાસ્ય કરી રહી હતી. તે દૃશ્ય જોઇને પેલો માણસ ગભરાટ સાથે ત્યાંથી ભાગી છુટ્યો હતો.

ડાળી કે કોઈનો હાથ?

જુનાગઢ ગામના એક શ્રાવક તથા તેના મિત્ર રતનબાગ તરફ જવાના માર્ગે આગળ વધી રહ્યા હતા, ત્યાં સામે આવેલી ઝાડીને હાથથી થોડી દૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યાંતો ડાળી જાણે કે કોઈનો હાથ ન હોય! તેમ તે વ્યક્તિના મુખ ઉપર જોરથી લાફો માર્યો ત્યારે તેમના આગળના ચાર દાંત પડી ગયા હતાં.

ગિરનાર પર છે ચમત્કારી વનસ્પતિઓ

ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મુળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઇ જાય છે. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેમાંથી દુધ નીકળે છે. તે દુધના ૩-૪ ટીપાં આપણા સાદા દુધમાં નાંખવામાં આવે તો પાંચ જ મિનીટમાં તે દહીં બની જાય છે. એકવાર યાત્રાળુઓ ગિરનાર ચઢી રહ્યા હતા ત્યારે સવારના સમયે કોઈ ઝાડીની ડાળી તોડીને દાતણ કરવા લાગ્યા અને થોડી જ વારમાં બધા દાંત પડી ગયા.

સંન્યાસીએ રસ્તો બતાવ્યો

ગિરનારમાં કોઈ યાત્રિક રસ્તો ભૂલી ગયો હશે ત્યારે તેને સામે જ કોઈ સંન્યાસી મળ્યો અને પૂછ્યું, “બેટા! ક્યાં રાસ્તા ભૂલ ગયા હૈ?” તેણે હા પડતાં પોતાની પાછળ પાછળ લઇ ગયો અને એક શિલાને હાથથી ખસેડતાં અંદર એક ગુફા હતી. અંદર જઈને પોતાની લાબ્ધિથી ભોજન હાજર કરીને તે યાત્રિકને ખવડાવે છે. પછી તે યાત્રિકને ચાલવાનું કહેતા તે આગળનો આગળ ચાલતાં બે દિવસે ઉપલેટા ગામ પાસેથી બહાર નીકળ્યો હતો.

શણગાર કરેલી એક સ્ત્રી

એક યાત્રિક માર્ગ ભૂલી જતાં મુંઝવણમાં મુકાય છે ત્યારે શણગાર કરેલી એક સ્ત્રી તેને માર્ગ ચીંધે છે. તે આગળ ચાલવા માંડે છે ત્યારે તેને આગળ માર્ગ દેખાય છે. તે સમયે પાછળ જોતાં પેલી શણગાર સજેલી સ્ત્રી અલોપ થયેલી હતી. આવી અનેક વાતો આ મહાપ્રભાવક, ચમત્કારી ગિરનારના ઈતિહાસ સાથે જોડાયેલી છે.

Girnar mountain

ગિરનાર ની પરિક્રમા નો મહિમા

ગિરનારએ જ્વાળામુ્ખી દવારા બનેલો પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજ(સિંહ) જગ પ્રસિધ્ધ છે.આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદાજુદા સ્થળોએથી લોકો આવે છે.

પરિક્રમાની પ્રાચીન પરંપરા

ગિરનાર પર્વતનો ઇતિહાસ તેની પરિક્રમા ના ઉલ્લેખ વિના અધૂરો છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસ ( દિવાળી) થી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે, એની કોઈ પાક્કી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલીત છે. આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે ગિરનાર માં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે.

પ્રકૃતિ સાથે પરિક્રમા

શહેરની તમામ સુખ સુવિધાથી , તમામ તણાવથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે , કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રક્રુતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

પરિક્રમાની પૂર્ણાહુતિ

યાત્રાનાં છેલ્લા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

Narsinh Mehta

નરસિંહ મહેતા અને દામોદર કુંડ

15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયાં તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતાં પથરીલા માર્ગ પર આગળ વધતાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે.

સાધના કરવા માટે યોગભૂમિ

ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે. આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં અત્માધ્યાનમાં લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્યધર્મગ્રંથોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે.

ગુજજુમિત્રો, આવો રહસ્યમય ગિરનાર અને આ પર્વતનો ઇતિહાસગુજરાતનું ગૌરવ છે. જો તમને ગિરનાર પર્વતનો ઇતિહાસ વાંચીને આનંદ થયો હોય તો આ પણ વાંચો : સોમનાથ મંદિર ના બાણ સ્તંભ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *