ના કોઈ ઘરે આવ્યું…

પેટ ભરીને ખાઓ આ મધુરાષ્ટકમ

ના કોઈ ઘરે આવ્યું…

ગુજજુમિત્રો, કોરોનાકાળ માં દિવાળી બહુ જ અલગ રહી. દીવાની રોનક તો હતી પણ આપણાં આત્મીયજનો ના ચમકતા ચહેરા જોવા ના મળ્યા. કોરોના ને કારણે એ જરૂરી હતું કે આપણે સ્વજનોની સલામતી માટે પોતપોતાનાં ઘરમાં જ દિવાળી મનાવીએ. આજે હું જે કવિતા શેર કરી રહી છું એમાં કવિ એ બહુ મર્મસ્પર્શી રીતે આ અનોખી દિવાળીની વેદનાને સરળ શબ્દોમાં વ્યક્ત કરી છે. મને આશા છે કે તમને પણ આ કવિતા વાંચવી ગમશે. તો વાંચો આ કવિતા, “ના કોઈ ઘરે આવ્યું…”

ના કોઈ ઘરે આવ્યું,
ને ના કોઇને મળવા ગયા;
ટેબલ પર કાજૂ-બદામ ને પીસ્તા,
જેમના તેમ જ પડ્યાં રહ્યા…

એ જ ટેબલક્લોથ છે,
ને હવે ના ચાદરો બદલાય છે;
આમ પણ પહેલાંની માફક,
ક્યાં હવે કશું યે થાય છે ? …

ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ,
ના કોઇ હવે ખાય છે;
બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,
ડીશમાં પીરસાય છે. …

બારણે પ્લાસ્ટિકના તોરણ,
ને સ્ટીકરમાં લાભશુભ;
લક્ષ્મી પગલાં ઉંબરે,
ક્યાં કંકુથી હવે દોરાય છે ?…

એ નવા કપડાની જોડી ,
ને બૂટ પર પાલીશ કરી;
બોણીની આશા લઇને,
ક્યાં હવે ઘર ઘર ગણાય છે? …

તારામંડળ, ભોંય ચકરી,
કોઠી ને રોકેટ;
એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,
ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?…

સાપની ટીકડીનો એ,
શ્વાસમાં જતો કાળો ધૂમાડો;
આજે સ્મરણોની શેરીમાં,
ચારેકોર પથરાય છે….

હા, સમયના બદલાવ સાથે,
કેટકેટલું બદલાય છે?
તો ય જાણે એવું લાગતું,
કે ભીતરે કૈંક ગૂંગળાય છે…

ના કોઈ ઘરે આવ્યું,
ને ના કોઇને મળવા ગયા;
ટેબલ પર કાજૂ-બદામ ને પીસ્તા,
જેમના તેમ જ પડ્યાં રહ્યા…

You may also like...

1 Response

  1. NITIN says:

    Very nice????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *