કાકડા થવાના કારણો અને કાકડા નો ઉપચાર

કાકડા નો ઉપચાર

કાકડા થવાના કારણો અને કાકડા નો ઉપચાર

કાકડા આયુર્વેદની દ્રષ્ટિએ કફ પ્રધાન વ્યાધિ છે. અને તેથી તે કફ પ્રકૃતિવાળી વ્યક્તિને, કફ પ્રકોપની ઋતુમાં અને કફકર આહાર-વિહારનો અતિરેક કરવાથી થાય છે. નાના બાળકોમાં કાકડાની તકલીફનું પ્રમાણ વધારે હોય છે. કેમકે જન્મથી જ નાના બાળકો કફ પ્રકૃતિના હોય છે. એનો મુખ્ય આહાર દૂધ હોય છે. અને વારંવાર દૂધ પીવાથી કફની વૃદ્ધિ થઈ શકે છે. નાના બાળકો દૂધ પીતા હોય તો હળદર મેળવી ઉકાળેલું દૂધ હૂંફાળું હોય ત્યારે પાવું.

કોને કાકડા થાય છે?

જે લોકો વધુ પડતું ગળપણ ખાય છે, રોજિંદા ખોરાકમાં વારંવાર ગોળનો ઉપયોગ કરે છે. દિવસ દરમિયાન એકદમ ઠંડું પાણી કે ઠંડા પીણા પીધા કરે છે. શેરડીનો રસ, દૂધ કોલ્ડ્રિંક કે મિલ્ક શેઈક પણ વારંવાર લીધા કરે છે તેમને કાકડા થવાની શક્યતા છે. વધુ પડતો બરફ, બરફના ગોળા, કુલ્ફી કે આઈસક્રીમ પણ ગળામાં કાકડા જેવી તકલીફ માટે કારણભૂત બની શકે છે.

કાકડા ના લક્ષણો

કાકડામાં સોજો આવે કે પાક થાય તો ગળામાં સખત દુખાવો થાય છે. શરદી થઈ જાય છે. મોંમાં મોળ આવે છે અને થૂક પાણી કે કોઈ પણ ખાદ્ય પદાર્થ ગળા નીચે ઊતારવો હોય તો તકલીફ પડે છે. દુખાવાના કારણે શરીરમાં તાવ ભરાઈ જાય છે. માથું પણ દુખે છે. શરીર તૂટે છે અને બેચેનીનો અનુભવ થાય છે.

ગળામાં દુખાવા નો ઈલાજ
કાકડા નો ઉપચાર

કાકડા પછી ઉધરસ

બન્ને બાજુના કાકડા ફૂલવાથી ગળા વચ્ચે જગા ઘટી જાય છે અને તેથી અવારનવાર ઉધરસના ઠસકા પણ આવે છે. મોં ખોલાવી બેટરી દ્વારા ગળામાં જોવામાં આવે અને દરદીને જીભ બહાર કઢાવી ‘આ… આ… આ…’ બોલવાનું કહેવામાં આવે તો બેટરીના પ્રકાશમાં ગળાના કાકડા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

કાકડા નો ઉપચાર

જો આહાર વિહાર અને ઔષધ કફશામક હોય તે કાકડામાં લાભ કરે છે. તીખો, તૂરો અને કડવો રસ કફશામક છે. એજ રીતે ઠંડાને બદલે ઉષ્ણ ઉપચાર પણ કફનું શમન કરે છે. સારવારમાં સૌથી પહેલા તો પરેજીનું પાલન અનિવાર્ય છે. કાકડામાં સોજો કે પાક થવાના જે કોઈ પણ કારણ છે તેને છોડવાથી ચોક્કસ લાભ થશે. દહીં, ગોળ, કેળા, દૂધ, ઘી, માખણ, શીખંડ, આઈસક્રીમ, શેરડી, ટામેટા, તમામ ફળ અને મીઠાઈ કાકડાના દરદી માટે અપથ્ય છે. આ સિવાય કાકડા વધવાના આગળ જે કોઈપણ કારણ દર્શાવ્યા છે તે પણ છોડી દેવા.

કાકડાનું અસરકારક અને ઘરગથ્થુ ઔષધ છે હળદર

કાકડાનું અસરકારક અને ઘરગથ્થુ ઔષધ છે હળદર. નાના બાળકો દૂધ પીતા હોય તો હળદર મેળવી ઉકાળેલું દૂધ હૂંફાળું હોય ત્યારે પાવું. હળદર નાખીને બનાવેલી એકદમ ગળી ગયેલી ખીચડી પણ બાળકને આપી શકાય. લીલી હળદરની કચુંબર અથવા તો તેનો રસ કાઢી, થોડું મધ મેળવીને પણ કાકડાના દરદીને આપી શકાય. હળદરનું ચૂર્ણ મધ કે ખાંડ મેળવીને દિવસમાં ત્રણથી ચાર વાર લેવું.

હળદરના ચૂર્ણમાં મધ મેળવી પેસ્ટ જેવું બનાવી તેમાં આંગળી અથવા તો પિંછી બોળી કાકડા પર લગાવવું. હળદર, કાંટાળું માયું અને જેઠીમધનું ચૂર્ણ હૂંફાળા પાણીમાં નાખી હલાવીને તેના કોગળા ભરવા. કાકડા પાક્યા હોય તો ત્રિફળા અથવા તો પંચવલ્કલ ક્વાથના કોગળા ભરવા. ગળા સુધી તે પ્રવાહી જવા દઈને થૂકી નાખવું. ગળા પર કાકડાની આસપાસ બહારના ભાગમાં હળદરનો ગરમ લેપ લગાવવાથી પણ કાકડામાં આવેલો સોજો ઊતરી જશે.

ઔષધો :-

(૧) સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ, હળદર ચૂર્ણ ૧ ગ્રામ, બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ ૧/૪ ગ્રામ, નારદીય લક્ષ્મી વિલાસ રસ ૧ ગોળી આ બધું મેળવી મધમાં કાલવીને ચટાડવું.

(૨) યષ્ટિ મધુ વટી, ખદિરાટિ વટી અથવા વ્યોષાદિ વટી દિવસ દરમિયાન ચારથી છ ટીકડી ચૂસવા માટે આપવી.

(૩) હરિદ્રા ખંડ દિવસમાં ત્રણવાર અડધીથી એક ચમચી જેટલું ફાકી જવું. હરિદ્રાખંડ હવે સિરપ રૂપે પણ મળે છે.

(૪) કાંચનાર ગૂગળ બેબે ગોળી સવારસાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી. કાકડામાં પાક થયો હોય તો ત્રિફલા ગૂગળ અથવા તો કિશોર ગૂગળ બેબે ગોળી ભૂકા કરીને લઈ શકાય.

(૫) કાકડા પર સોજો આવ્યો હોય ત્યારે ગળા પર બહારના ભાગમાં રસવંતી લેપ અથવા દશાંગલેપ અલગ અલગ અથવા તો મિક્સ કરીને હૂંફાળો હોય ત્યારે લગાવવો.

પરેજ :-

ઠંડા પીણાં, ફ્રીજનું ઠંડું પાણી, આઈસક્રીમ, વિવિધ પ્રકારના જ્યૂસ તથા મિલ્ક શેઈકનો ઉપયોગ જેમ જેમ વધતો જાય છે તથા બજારું ખોરાક (ફાસ્ટ ફૂડ)નું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ કાકડાના દરદી પણ વધવા લાગ્યા છે.

આયુર્વેદની દ્રષ્ટિએ કાકડા (Tonsillitis) ના દરેક કેસમાં સર્જરી અનિવાર્ય નથી. દરદી ઔષધ લેવા તૈયાર ન હોય, પરેજી પાળવામાં રસ ન હોય કે કાકડા સખત રીતે પાકી ગયા હોય અને ઔષધ ચિકિત્સાથી મટી શકે તેમ જ ન હોય તો શસ્ત્રકર્મનો આશરો લઈ શકાય.

વિશ્વમાં પોપ્યુલર થઈ રહેલું બ્રેથવર્ક પ્રાણાયામ ના ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *